સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨

ખરા ઈશ્વર કોણ છે?

ખરા ઈશ્વર કોણ છે?

૧. આપણે કેમ ઈશ્વરની ભક્તિ કરવી જોઈએ?

ઈશ્વરે બધી વસ્તુઓનું સર્જન કર્યું છે. ઈશ્વરની કોઈ શરૂઆત નથી કે અંત નથી. (ગીતશાસ્ત્ર ૯૦:૨) બાઇબલમાં જણાવેલી ખુશખબર તેમની પાસેથી જ આવે છે. (૧ તીમોથી ૧:૧૧) ઈશ્વરે આપણને જીવન આપ્યું હોવાથી, ફક્ત તેમની જ ભક્તિ કરવી જોઈએ.પ્રકટીકરણ ૪:૧૧ વાંચો.

૨. ઈશ્વર કેવા છે?

ઈશ્વરને કોઈએ કદી જોયા નથી, કેમ કે તે આપણી જેમ હાડમાંસના બનેલા નથી. તેમનું જીવન તો આપણા કરતાં ઊંચી કક્ષાનું છે. (યોહાન ૧:૧૮; ગીતશાસ્ત્ર ૧૧:૪) ઈશ્વરે બનાવેલી વસ્તુઓમાં તેમના ગુણો જોવા મળે છે. દાખલા તરીકે, જાતજાતનાં ફળ-ફૂલમાં તેમનો પ્રેમ અને ડહાપણ દેખાઈ આવે છે. આકાશ તરફ નજર કરીએ ત્યારે, એમાં તેમની અપાર શક્તિના દર્શન થાય છે.રોમન ૧:૨૦ વાંચો.

બાઇબલમાંથી આપણને ઈશ્વરના ગુણો વિષે વધારે શીખવા મળે છે. જેમ કે, ઈશ્વરને શું ગમે છે અને શું નથી ગમતું; લોકો સાથે તે કેવી રીતે વર્તે છે અને લોકો સારું કે ખરાબ કરે ત્યારે તેમને કેવું લાગે છે.ગીતશાસ્ત્ર ૧૦૩:૭-૧૦ વાંચો.

૩. શું ઈશ્વરનું કોઈ નામ છે?

ઈસુએ કહ્યું: ‘ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’ (માથ્થી ૬:૯) ઈશ્વરના ઘણા ખિતાબ છે, પણ નામ એક જ છે. લોકો પોતાની ભાષા પ્રમાણે ઈશ્વરના નામનો ઉચ્ચાર કરે છે. ગુજરાતી ભાષામાં એ નામનો “યહોવા” અથવા “યાહવે” ઉચ્ચાર થાય છે.ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચો.

દુઃખની વાત છે કે આજે ઘણા બાઇબલ અનુવાદોમાંથી ‘યહોવા’ નામ કાઢીને, ‘પ્રભુ’ કે ‘ઈશ્વર’ જેવા ખિતાબો મૂકી દેવામાં આવ્યા છે. પણ બાઇબલ લખાયું ત્યારે, એમાં લગભગ ૭,૦૦૦ વખત ‘યહોવા’ નામ હતું. ઈશ્વર વિષે શીખવતી વખતે ઈસુએ લોકોને ઈશ્વરનું નામ જણાવ્યું હતું.યોહાન ૧૭:૨૬ વાંચો.

૪. શું યહોવાને આપણી કોઈ પરવા છે?

એક પ્રેમાળ પિતાની જેમ, ઈશ્વર આપણા કાયમી ભલા માટે પગલાં ભરે છે

દુનિયામાં દુઃખ-તકલીફ હોવાનો શું એવો અર્થ થાય કે ઈશ્વરને આપણી કોઈ પરવા નથી? અમુક લોકો તો એવું કહે છે કે ઈશ્વર આપણી કસોટી કરવા દુઃખ લાવે છે. પણ બાઇબલ એવું શીખવતું નથી.યાકૂબ ૧:૧૩ વાંચો.

ઈશ્વરે મનુષ્યને તેમની ભક્તિ કરવાની પસંદગી આપી છે. એ બતાવે છે કે તેમણે આપણને સન્માન આપ્યું છે. એની કદર બતાવવા આપણે શું તેમની ભક્તિ ન કરવી જોઈએ? (યહોશુઆ ૨૪:૧૫) પરંતુ, આજે ઘણા લોકો ખોટો માર્ગ પસંદ કરીને બીજાઓનું બૂરું કરે છે. એનાથી દુઃખ-તકલીફો વધી રહી છે. પણ એ બધું જોઈને ઈશ્વરને બહુ દુઃખ થાય છે.ઉત્પત્તિ ૬:૫, ૬ વાંચો.

યહોવા ઈશ્વર આપણી બહુ સંભાળ રાખે છે. તે ચાહે છે કે આપણે જીવનનો આનંદ માણીએ. જલદી જ તે સર્વ દુઃખો મિટાવી દેશે. જેઓ બીજાઓને દુઃખી કરે છે, તેઓને પણ તે મિટાવી દેશે. પણ હાલમાં ઈશ્વર એ બધું ચાલવા દે છે, કેમ કે તેમની પાસે એક સારું કારણ છે. આઠ નંબરના પાઠમાં આપણે એ કારણ જાણીશું.૨ પીતર ૨:૯, ૧૦; ૩:૭, ૧૩ વાંચો.

૫. આપણે કઈ રીતે ઈશ્વરની નજીક જઈ શકીએ?

યહોવા કહે છે કે તેમની સમીપ જવા આપણે તેમને પ્રાર્થના કરવી જોઈએ. તે આપણા દરેકમાં રસ લે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨; ૧૪૫:૧૮) તે આપણી ભૂલો માફ કરવા તૈયાર છે. તેમને ખુશ કરવા આપણે જે પ્રયત્નો કરીએ છીએ એની તે કદર કરે છે, પછી ભલે કોઈ વખત આપણે નિષ્ફળ જઈએ. આમ, આપણે ભૂલને પાત્ર હોવા છતાં ઈશ્વર સાથે ગાઢ સંબંધનો આનંદ માણી શકીએ છીએ.ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨-૧૪; યાકૂબ ૪:૮ વાંચો.

ઈશ્વરે આપણને જીવન આપ્યું છે. એ કારણથી આપણે તેમને સૌથી વધારે પ્રેમ બતાવવો જોઈએ. (માર્ક ૧૨:૩૦) ઈશ્વરને પ્રેમ બતાવવા આપણે શું કરી શકીએ? તેમના વિષે શીખીએ અને તેમના કહ્યા પ્રમાણે કરીએ. એમ કરીને આપણે તેમની વધારે નજીક જઈ શકીશું.૧ તીમોથી ૨:૪; ૧ યોહાન ૫:૩ વાંચો.