સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે જાણો છો?

શું તમે જાણો છો?

શું રોમન સરકાર એવા લોકોનાં શબને કબરમાં દફનાવવાની મંજૂરી આપતી હતી, જેઓને ઈસુની જેમ વધસ્તંભ પર ગુનેગાર તરીકે મારી નાખવામાં આવતા હતા?

બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુને બે ગુનેગારોની વચ્ચે વધસ્તંભ પર ખીલાથી જડી દેવામાં આવ્યા હતા. ઘણા લોકો એ બનાવ વિશે જાણે છે. (માથ. ૨૭:૩૫-૩૮) બાઇબલમાં એ પણ જણાવ્યું છે કે તેમના મરણ પછી તેમના શબને કબરમાં મૂકવામાં આવ્યું હતું. પણ અમુક લોકોએ એ વાત પર સવાલ ઉઠાવ્યો છે.—માર્ક ૧૫:૪૨-૪૬.

અમુક લોકો માનતા હતા કે જેઓને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા, તેઓનું શબ કબરમાં દફનાવવામાં આવતું ન હતું. એ વિશે પત્રકાર એરિયેલ સબારે સ્મિથસોનીયન મૅગેઝિનમાં લખ્યું: ‘એ સમયે ફક્ત ગુનેગારોને આ રીતે મારી નાખવામાં આવતા હતા. એટલે અમુક વિદ્વાનોનું કહેવું હતું કે રોમન સરકાર એવા ગુનેગારોનાં શબને સરખી રીતે દફનાવવાની મંજૂરી આપે એ તો માનવામાં જ ન આવે.’ રોમનો ચાહતા હતા કે ગુનેગારનું સૌથી વધારે અપમાન થાય. એટલે કદાચ તેના શબને સ્તંભ પર છોડી દેવામાં આવતું હતું, જેથી જંગલી જાનવરો અને પક્ષીઓ એનું માંસ ચૂંથી કાઢે. પછી કદાચ બીજી લાશો ભેગા એ ગુનેગારના શબને પણ નાખી દેવામાં આવતું હતું.

શું એનો અર્થ એ થાય કે કોઈ પણ યહૂદી ગુનેગારને વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવ્યો ન હતો? વર્ષ ૧૯૬૮માં યરૂશાલેમ નજીક ખોદકામ ચાલતું હતું. પુરાતત્ત્વશાસ્ત્રીઓને એક ખાસ વસ્તુ મળી આવી. તેઓને યહૂદી કુટુંબની કબરમાં એક પેટી મળી. એમાં એક માણસનાં હાડકાં હતાં. એ માણસને પહેલી સદીમાં મારી નાખવામાં આવ્યો હતો અને પછી તેને દફનાવવામાં આવ્યો હતો. પેટીમાં તેની એડીનું હાડકું પણ મળી આવ્યું. એ હાડકું ૧૧.૫ સે.મી. (૪.૫ ઇંચ) લાંબા ખીલાથી લાકડામાં જડેલું હતું. એ વિશે એરિયેલ સબારે લખ્યું: ‘વર્ષોથી વિદ્વાનો એવો વાદવિવાદ કરતા હતા કે ઈસુને દફનાવવામાં આવ્યા હતા કે નહિ. પણ પછી યહોખનેન નામના માણસની એડીનું હાડકું મળી આવ્યું. તેને ઈસુના જમાનામાં ક્રોસ પર મારી નાખવામાં આવ્યો હતો. એનાથી સાબિત થયું કે ઈસુને દફનાવવા વિશે બાઇબલમાં જે લખ્યું છે એ સાચું છે. આપણે એવું પણ કહી શકીએ કે રોમન લોકોએ અમુક યહૂદી ગુનેગારોનાં શબને દફનાવવાની મંજૂરી આપી હતી.’

યહોખનેનની એડીનું હાડકું જોઈને એ તો નક્કી ન કરી શકાય કે ઈસુને સ્તંભ પર કઈ રીતે લટકાવવામાં આવ્યા હતા. એ વિશે લોકોના અલગ અલગ મંતવ્ય છે. પણ એનાથી એટલું તો સાબિત થાય છે કે એ સમયે અમુક ગુનેગારોનાં શબને એમ જ ફેંકી દેવામાં આવતું ન હતું. એ શબને દફનાવવાની મંજૂરી આપવામાં આવતી હતી. એનાથી પુરવાર થાય છે કે બાઇબલમાં ઈસુના શબ વિશે જે જણાવવામાં આવ્યું છે એ એકદમ સાચું છે. આપણે એ વાત પર ભરોસો મૂકી શકીએ છીએ.

સૌથી મહત્ત્વનું તો, યહોવાએ ભવિષ્યવાણી કરી હતી કે ઈસુને ધનવાનો સાથે દફનાવવામાં આવશે. યહોવાની ભવિષ્યવાણી પૂરી થતા કોઈ અટકાવી ન શકે.—યશા. ૫૩:૯; ૫૫:૧૧.