સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ સાત

તે “યહોવાની હજૂરમાં રહીને મોટો થયો”

તે “યહોવાની હજૂરમાં રહીને મોટો થયો”

૧, ૨. ઇઝરાયેલના લોકો સાથે શમૂએલે કેવા સંજોગોમાં વાત કરી? તેમણે કેમ લોકોને પસ્તાવો કરવા સમજાવવાની જરૂર હતી?

શમૂએલ એકીટસે પોતાના લોકો સામે જોઈ રહ્યા છે. આ શ્રદ્ધાળુ માણસ વર્ષોથી તેઓના પ્રબોધક અને ન્યાયાધીશ છે. તેમના કહેવાથી બધા ગિલગાલ નામના શહેરમાં ભેગા થયા છે. એ આજના કેલેન્ડર પ્રમાણે મે અથવા જૂનનો ભરઉનાળાનો સમય છે. એ વિસ્તારનાં સોનેરી ખેતરો ઘઉંનાં તૈયાર થયેલાં પાકથી લહેરાઈ રહ્યાં છે. આખા ટોળામાં શાંતિ છવાયેલી છે. શમૂએલ કઈ રીતે તેઓના દિલ ઢંઢોળી શકે?

લોકો સમજતા નથી કે તેઓ કેવી મોટી ભૂલ કરી રહ્યા છે. તેઓએ હઠ પકડી છે કે પોતાના પર કોઈ માણસ રાજા બને. તેઓ પારખી શકતા નથી કે તેઓએ પોતાના ઈશ્વર યહોવાનું અને તેમના પ્રબોધકનું કેવું અપમાન કર્યું છે. તેઓ યહોવાને પોતાના રાજા ગણવા માંગતા નથી! શમૂએલ તેઓને કઈ રીતે પસ્તાવો કરવા મનાવી શકે?

આસપાસની ખરાબ અસર છતાં, યહોવામાં શ્રદ્ધા કેળવવા શમૂએલનું બાળપણ આપણને ઘણું શીખવી શકે છે

૩, ૪. (ક) શમૂએલે પોતાની યુવાનીની વાત શા માટે કરી? (ખ) શમૂએલની શ્રદ્ધાનો દાખલો આપણા માટે કેમ મહત્ત્વનો છે?

આખરે શમૂએલ બોલ્યા. તેમણે ટોળાને જણાવ્યું: “હું તો વૃદ્ધ થયો છું ને માથે પળિયાં આવ્યાં છે.” તેમના માથે આવેલા ધોળા વાળને લીધે તેમના શબ્દોમાં વજન હતું. પછી, તેમણે કહ્યું: “હું મારી યુવાવસ્થાથી તે આજ સુધી તમારી આગળ ચાલ્યો છું.” (૧ શમૂ. ૧૧:૧૪, ૧૫; ૧૨:૨) શમૂએલ વૃદ્ધ થયા હતા છતાં, તે પોતાની યુવાનીને ભૂલ્યા ન હતા. એ દિવસોની યાદો તેમના મનમાં હજુ તાજી જ હતી. તે મોટા થતા ગયા તેમ, વર્ષો પહેલાં પોતે લીધેલા નિર્ણયોને કારણે યહોવા માટે તેમનામાં અડગ શ્રદ્ધા અને ભક્તિભાવ હતાં.

ઘણી વાર તેમની આસપાસના લોકો શ્રદ્ધા વગરના અને બેવફા બની ગયા હતા. એટલે, શમૂએલે પોતાની શ્રદ્ધા કેળવવી પડી હતી, એને જાળવી રાખવી પડી હતી. આજે આપણે શ્રદ્ધા વિનાની અને ભ્રષ્ટ દુનિયામાં જીવતા હોવાથી, અડગ શ્રદ્ધા કેળવવી આસાન નથી. (લુક ૧૮:૮ વાંચો.) ચાલો, આપણે શમૂએલના બાળપણમાં પાછા જઈએ અને તેમના દાખલામાંથી શીખીએ.

‘બાલ્યાવસ્થામાં યહોવાની હજૂરમાં સેવા કરવી’

૫, ૬. શમૂએલનું બાળપણ કેમ સામાન્ય ન હતું? તેમનાં માબાપને શા માટે ખાતરી હતી કે તેમનું ધ્યાન રાખવામાં આવશે?

શમૂએલનું બાળપણ સામાન્ય ન હતું. ત્રણેક વર્ષની ઉંમરે ધાવણ છોડ્યા પછી તરત તેમણે શીલોહમાં યહોવાના પવિત્ર મંદિરે સેવા આપવાનું શરૂ કર્યું. એ તેમના ઘર રામાથી આશરે ૩૨ કિલોમીટર દૂર હતું. શમૂએલનાં માબાપ, એલ્કાનાહ અને હાન્નાએ પોતાના દીકરાને યહોવાની ખાસ સેવામાં સોંપ્યા હતા. તેમને જીવનભર નાઝીરી બનાવ્યા હતા. * શું એનો અર્થ એ થાય કે શમૂએલનાં માબાપે તેમને કાઢી મૂક્યા હતા? કે પછી તે તેઓને વહાલા ન હતા?

ના, એવું જરાય ન હતું! એલ્કાનાહ અને હાન્નાને ખબર હતી કે શીલોહમાં પોતાના દીકરાની સારી સંભાળ રાખવામાં આવશે. પ્રમુખ યાજક એલી સાથે રહીને શમૂએલ સેવા આપતા હોવાથી, એમાં કોઈ શંકા નથી કે એલીએ તેમની સારી દેખરેખ રાખી હશે. એ ઉપરાંત, યહોવાના મંદિર આગળ ગોઠવણ પ્રમાણે અમુક સ્ત્રીઓ પણ સેવા આપતી હતી.—નિર્ગ. ૩૮:૮; ન્યા. ૧૧:૩૪-૪૦.

૭, ૮. (ક) દર વર્ષે શમૂએલનાં માબાપ તેમને કઈ રીતે ઉત્તેજન આપતાં હતાં? (ખ) શમૂએલનાં માબાપ પાસેથી આજે માતા-પિતા શું શીખી શકે?

વધુમાં, હાન્ના અને એલ્કાનાહ પોતાના પ્રથમ જન્મેલા એ વહાલા દીકરાને કદીયે ભૂલી ગયા નહિ. એનો જન્મ તો પ્રાર્થનાનો જવાબ હતો. હાન્નાએ દીકરા માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી અને વચન આપ્યું હતું કે દીકરો થશે તો, એને આખી જિંદગી ઈશ્વરની પવિત્ર સેવામાં અર્પી દેશે. હાન્ના દર વર્ષે શમૂએલને મળવા આવતી અને મંદિરમાં સેવા માટે બનાવેલો બાંય વગરનો નવો નક્કોર ઝભ્ભો તેમને આપતી. નાનકડા શમૂએલ એ સમયની કાગને ડોળે રાહ જોતા. તેમનાં માબાપ શીખવતા કે એ અજોડ જગ્યાએ યહોવાની ભક્તિ કરવી કેવો મોટો આશીર્વાદ છે. એમાં કોઈ શંકા નથી કે માબાપે આપેલા ઉત્તેજન અને માર્ગદર્શનથી ભક્તિમાં શમૂએલની હોંશ જરૂર વધી હશે.

હાન્ના અને એલ્કાનાહ પાસેથી આજે માતા-પિતા ઘણું શીખી શકે છે. તેઓ બાળકોનો ઉછેર કરતી વખતે મોટા ભાગે ચીજવસ્તુઓ પૂરી પાડવામાં જ બધું ધ્યાન આપે છે, જ્યારે કે યહોવાની ભક્તિ એક બાજુએ રહી જાય છે. પરંતુ, શમૂએલનાં માબાપે યહોવાની ભક્તિને જીવનમાં પહેલી મૂકી હતી. શમૂએલ મોટા થઈને જે બન્યા, એની પાછળ તેઓના ભક્તિભાવે મોટો ભાગ ભજવ્યો હતો.—નીતિવચનો ૨૨:૬ વાંચો.

૯, ૧૦. (ક) યહોવાનું મંદિર અને એ પવિત્ર જગ્યા વિશે બાળક શમૂએલની લાગણીઓનું વર્ણન કરો. (ફૂટનોટ પણ જુઓ.) (ખ) શમૂએલ પાસે કેવી જવાબદારીઓ હતી? આજે યુવાનો કઈ રીતે તેમના દાખલાને અનુસરી શકે?

આપણે મનની આંખોથી નાનકડા શમૂએલને મોટા થતા જોઈએ છીએ. તે શીલોહની આસપાસની ટેકરીઓ પર ફરી રહ્યા છે. તે નીચાણમાં એક તરફ શહેર અને ખીણ પથરાયેલાં જુએ છે. જ્યારે તેમની નજર યહોવાના મંદિર પર પડે છે, ત્યારે તેમનું દિલ ખુશીથી અને ગર્વથી છલકાઈ જાય છે. એ મંદિર સાચે જ પવિત્ર જગ્યા હતું. * લગભગ ૪૦૦ વર્ષો અગાઉ ખુદ મુસાના માર્ગદર્શન પ્રમાણે એ બંધાયું હતું. આખી દુનિયામાં યહોવાની શુદ્ધ ભક્તિની આ એકમાત્ર જગ્યા હતી.

૧૦ બાળક શમૂએલ મોટા થયા તેમ, મંદિર માટે તેમનો લગાવ વધતો ગયો. તેમણે પછીથી લખેલા અહેવાલમાં આપણે વાંચીએ છીએ: “શમૂએલ બાલ્યાવસ્થામાં શણનો એફોદ પહેરીને યહોવાની હજૂરમાં સેવા કરતો હતો.” (૧ શમૂ. ૨:૧૮) તેમણે પહેરેલો બાંય વગરનો સાદો ઝભ્ભો સૂચવતો હતો કે શમૂએલ મંદિરમાં યાજકોને સહાય કરતા હતા. ખરું કે શમૂએલ યાજકવર્ગના ન હતા, તોપણ તે જે સેવાઓ આપતા હતા એમાં વહેલી સવારે મંદિરનાં બારણાં ઉઘાડવાનો અને વૃદ્ધ એલીને મદદ કરવાનો સમાવેશ થતો હતો. એ આશીર્વાદોની તે કદર કરતા હતા એ તો ખરું, પણ સમય જતાં તેમનું નિર્દોષ દિલ દુભાવા લાગ્યું. યહોવાના ઘરમાં કંઈક ન બનવાનું બની રહ્યું હતું, જે અતિશય ખરાબ હતું.

ભ્રષ્ટ કામો થતાં હોવા છતાં શુદ્ધ રહેવું

૧૧, ૧૨. (ક) હોફની અને ફીનહાસે કઈ મોટી ભૂલ કરી? (ખ) યહોવાના મંદિરમાં હોફની અને ફીનહાસે કેવી દુષ્ટતા અને ભ્રષ્ટતા ફેલાવી? (ફૂટનોટ પણ જુઓ.)

૧૧ નાની ઉંમરે જ શમૂએલે દુષ્ટ અને ભ્રષ્ટ કામો થતાં જોયાં હતાં. એલીને બે દીકરાઓ હતા, હોફની અને ફીનહાસ. શમૂએલના અહેવાલમાં આપણે વાંચીએ છીએ: “એલીના દીકરા બલિયાલ [નકામા] પુત્રો હતા; તેઓ યહોવાને ઓળખતા નહોતા.” (૧ શમૂ. ૨:૧૨) આ કલમમાં બે વિચારો છે, જે એકબીજા સાથે જોડાયેલા છે. હોફની અને ફીનહાસ નકામા માણસો હતા, કેમ કે તેઓને યહોવાનો જરાય ડર ન હતો. યહોવાનાં ખરાં ધોરણો અને નીતિ-નિયમોને તેઓ બિલકુલ ગણકારતા ન હતા. એ એક મોટી ભૂલ તેઓને બીજાં અનેક પાપ કરવા દોરી ગઈ.

૧૨ ઈશ્વરના નિયમશાસ્ત્રમાં યાજકોની ફરજો વિશે સાફ સાફ જણાવ્યું હતું. તેમ જ, એ પણ જણાવ્યું હતું કે તેઓએ યહોવાના મંદિરમાં કઈ રીતે બલિદાનો ચડાવવાં. એમ કરવા પાછળ યોગ્ય કારણો હતાં! એ બલિદાનો લોકોનાં પાપ માફ કરવા માટે ઈશ્વરની ગોઠવણ હતી, જેથી લોકો ઈશ્વરની નજરમાં શુદ્ધ ગણાય તેમજ તેમનાં આશીર્વાદ અને માર્ગદર્શન મેળવી શકે. પરંતુ, હોફની અને ફીનહાસે પોતાના સાથી યાજકોને એ બલિદાનોનો અનાદર કરતા શીખવ્યું. *

૧૩, ૧૪. (ક) મંદિરે થતી દુષ્ટતાની નેકદિલ લોકો પર કેવી અસર પડી? (ખ) પિતા તરીકે અને પ્રમુખ યાજક તરીકે એલી કેમ નિષ્ફળ ગયા?

૧૩ કલ્પના કરો કે નાનકડા શમૂએલ પોતાની આંખો સામે આ ઘોર પાપ થતાં જુએ છે, જેને સુધારવા માટે કોઈ નથી. તેમણે કેટલા બધા ગરીબ, નમ્ર, કચડાયેલા દિલવાળા લોકોને નજરે જોયા હતા, જેઓ પવિત્ર મંદિરે મોટી મોટી આશાઓ લઈને આવતા હતા. તેઓ માનતા કે મંદિરે તેઓને દિલાસો અને હિંમત મળશે, પણ અફસોસ કે તેઓ નિરાશ, દુઃખી, અરે અપમાનિત થઈને પાછા વળતા! જરા વિચારો કે હોફની અને ફીનહાસ જાતીય સંબંધો વિશેના યહોવાના નિયમો તોડતા હતા, એ જાણીને શમૂએલની કેવી હાલત થઈ હશે! તેઓ મંદિરે સેવા આપતી અમુક સ્ત્રીઓ સાથે એવા સંબંધો બાંધીને ઘોર પાપ કરતા હતા! (૧ શમૂ. ૨:૨૨) શમૂએલને આશા હતી કે એ વિશે એલી જરૂર કંઈ કરશે.

એલીના દીકરાઓની દુષ્ટતા જોઈને શમૂએલનું મન ઘણું દુભાયું હશે

૧૪ એલી જ એવી જવાબદાર પદવીએ હતા, જે આ વધતી જતી સમસ્યા સુધારી શકે. યહોવાના મંદિરમાં જે કંઈ થતું, એ માટે પ્રમુખ યાજક તરીકે તે જવાબદાર હતા. પિતા તરીકે, પોતાના દીકરાઓને સુધારવાની તેમની ફરજ હતી. તેમના દીકરાઓ પોતાના પર આફત વહોરી રહ્યા હતા અને બીજા અગણિત લોકોને દુઃખી કરી રહ્યા હતા. જોકે, પિતા તરીકે અને પ્રમુખ યાજક તરીકે બંને રીતે એલી નિષ્ફળ ગયા. તેમણે પોતાના દીકરાઓને બસ ઠપકો આપીને જવા દીધા. (૧ શમૂએલ ૨:૨૩-૨૫ વાંચો.) પરંતુ, તેઓને તો કડકમાં કડક શિસ્તની જરૂર હતી. તેઓ એવાં પાપ કરતાં હતાં, જેની સજા મોત હતી!

૧૫. યહોવાએ એલીને કયો કડક સંદેશો આપ્યો? શું એ ચેતવણીની એલીના કુટુંબ પર કોઈ અસર થઈ?

૧૫ એ વાત એટલે સુધી પહોંચી કે યહોવાએ ‘એક ઈશ્વરભક્ત,’ એક અનામી પ્રબોધકને એલી પાસે મોકલ્યા. તેમણે એલીને કડક સજાનો સંદેશો કહી સંભળાવ્યો. યહોવાએ એલીને કહ્યું: “તું મારા કરતાં તારા દીકરાઓનું માન કેમ વધારે રાખે છે?” પછી, ઈશ્વરે ભાખ્યું કે એલી અને તેમના દુષ્ટ દીકરાઓ એક જ દિવસે માર્યા જશે; એલીના કુટુંબે ઘણું સહેવું પડશે, અરે, યાજકવર્ગના હોવાનો અનમોલ લહાવો પણ ગુમાવવો પડશે. શું આ કડક ચેતવણીથી કુટુંબમાં કોઈ બદલાણ આવ્યું? બાઇબલ બતાવે છે કે તેઓના હૃદયમાં એવું કોઈ બદલાણ આવ્યું ન હતું.—૧ શમૂ. ૨:૨૭–૩:૧.

૧૬. (ક) બાળક શમૂએલની પ્રગતિ વિશે આપણને શું જાણવા મળે છે? (ખ) તમને એ વાંચીને કેવું ઉત્તેજન મળે છે? સમજાવો.

૧૬ આ બધી ભ્રષ્ટતાની શમૂએલ પર કેવી અસર થઈ? આ અહેવાલની અંધારી દુનિયામાં કોઈ કોઈ વાર પ્રકાશનાં કિરણો પણ જોવા મળે છે. એવું એક કિરણ શમૂએલની શ્રદ્ધા હતી. તે મોટા થયા એમ એ શ્રદ્ધા વધતી ને વધતી ગઈ. પહેલો શમૂએલ ૨:૧૮ યાદ કરો, જે જણાવે છે: શમૂએલ પૂરી શ્રદ્ધાથી ‘બાલ્યાવસ્થામાં યહોવાની હજૂરમાં સેવા કરતા હતા.’ એ કુમળી વયે પણ શમૂએલનું પૂરું ધ્યાન યહોવાની ભક્તિમાં હતું. એ જ અધ્યાયની ૨૧મી કલમ તેમના વિશે હજુ વધારે સારી વાત જણાવે છે: “બાળક શમૂએલ યહોવાની હજૂરમાં રહીને મોટો થયો.” તે મોટા થયા તેમ પિતા યહોવા સાથેનો તેમનો સંબંધ વધારે ને વધારે દૃઢ થતો ગયો. યહોવા સાથેનો એવો મજબૂત સંબંધ સાચે જ કોઈ પણ ભ્રષ્ટ અસર સામે રક્ષણ આપે છે.

૧૭, ૧૮. (ક) આસપાસ ભ્રષ્ટતા હોવા છતાં યુવાનો કઈ રીતે શમૂએલનો દાખલો અનુસરી શકે? (ખ) શું બતાવે છે કે શમૂએલે ખરો માર્ગ પસંદ કર્યો હતો?

૧૭ શમૂએલ માટે આમ વિચારવું સહેલું હતું કે, ‘જો પ્રમુખ યાજક અને તેમના દીકરાઓ પાપ કરતા હોય, તો હું પણ મન ફાવે એમ કરું એમાં શું વાંધો?’ પરંતુ, બીજાઓ દુષ્ટ કામો કરે, પછી ભલેને તેઓ જવાબદાર પદવીએ હોય, એનાથી આપણને પાપ કરવાની છૂટ મળી જતી નથી. આજે આપણા ઘણા યુવાનો શમૂએલને પગલે ચાલે છે. ભલે આસપાસના અમુક લોકો સારો દાખલો બેસાડતા ન હોય, તોપણ એ યુવાનો જાણે ‘યહોવાની હજૂરમાં રહીને મોટા થાય છે.’

૧૮ શમૂએલે આ માર્ગ પસંદ કર્યો એનું શું પરિણામ આવ્યું? આપણે વાંચીએ છીએ: “બાળક શમૂએલ મોટો થતો ગયો, ને યહોવાની તેમ જ માણસોની કૃપા તેના પર હતી.” (૧ શમૂ. ૨:૨૬) એટલે, શમૂએલ માટે જેઓ મહત્ત્વના હતા તેઓ બધાને તે બહુ જ ગમતા. ખુદ યહોવાને મન આ નાનકડા છોકરાની શ્રદ્ધા અનમોલ હતી. શમૂએલને પૂરી ખાતરી હતી કે શીલોહમાં ચાલી રહેલાં કાળાં કામો સામે ઈશ્વર ચોક્કસ પગલાં ભરશે. પણ કદાચ તેમને આ સવાલ સતાવતો કે ક્યારે? એક રાતે તેમને એવા સવાલોનો જવાબ મળી ગયો.

“બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે”

૧૯, ૨૦. (ક) મંદિરમાં એક રાતે શમૂએલ સાથે જે બન્યું એનું વર્ણન કરો. (ખ) એલી સાથે શમૂએલ કઈ રીતે વર્ત્યા? (ગ) સંદેશો કોની પાસેથી છે એ શમૂએલે કઈ રીતે જાણ્યું?

૧૯ પરોઢ થઈ હતી અને હજુ અંધારું હતું; મંડપનો મોટો દીવો હજુ મંદ મંદ બળી રહ્યો હતો. શાંત વાતાવરણમાં શમૂએલને લાગ્યું કે કોઈ તેમને બોલાવે છે. તેમને લાગ્યું કે એ એલી છે, જે હવે ઘણા વૃદ્ધ હતા અને આંખે ઓછું દેખાતું હતું. શમૂએલ ઊઠ્યા અને એલી પાસે ‘દોડીને’ પહોંચી ગયા. એલીને મદદ કરવા ગયેલા એક નાના છોકરાને શું તમે ખુલ્લા પગે દોડતા જોઈ શકો છો? એલી સાથે શમૂએલ કેટલા માનથી અને દયાથી વર્તે છે! કેમ નહિ, એલી હજુ યહોવાના પ્રમુખ યાજક હતા, પછી ભલેને તેમણે ઘણાં પાપ કર્યાં હોય.—૧ શમૂ. ૩:૨-૫.

૨૦ શમૂએલે એલીને જગાડીને કહ્યું: “હું આ રહ્યો; કેમ કે તેં મને બોલાવ્યો.” પરંતુ, એલીએ કહ્યું કે તેમણે શમૂએલને બોલાવ્યા ન હતા અને તેમને પાછા ઊંઘી જવા કહ્યું. પછી, ફરી બે વાર એવું જ થયું. આખરે, એલીને ખ્યાલ આવ્યો કે શું બની રહ્યું છે. એ સમયમાં યહોવાના લોકોને તેમના તરફથી ભાગ્યે જ કોઈ દર્શન થતું કે કોઈ સંદેશો મળતો. આપણે એનું કારણ જોઈ શકીએ છીએ. પણ, એલીને ખબર પડી કે યહોવા ફરીથી સંદેશો જણાવતા હતા, હવે આ નાનકડા છોકરા દ્વારા! એલીએ શમૂએલને પાછા સૂઈ જવા કહ્યું અને જણાવ્યું કે હવે કઈ રીતે જવાબ આપવો. શમૂએલે એ વાત માની. તેમણે ફરીથી અવાજ સાંભળ્યો, “શમૂએલ, શમૂએલ.” તેમણે જવાબ આપ્યો: ‘બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે.’—૧ શમૂ. ૩:૧, ૫-૧૦.

૨૧. આજે આપણે યહોવાનો અવાજ કઈ રીતે સાંભળીએ છીએ? એમ કરવું કેમ જરૂરી છે?

૨૧ આખરે, શીલોહમાં યહોવાના કોઈ તો સેવક હતા જે તેમનું સાંભળતા હતા. પછી તો એ શમૂએલની જિંદગીનો ભાગ બની ગયું. શું તમે પણ એમ કરો છો? આપણે રાહ જોવાની જરૂર નથી કે રાતે કોઈ ચમત્કારિક રીતે યહોવાનો અવાજ સંભળાય. એક રીતે જોઈએ તો આજે આપણે ઈશ્વરનો અવાજ હંમેશાં સાંભળી શકીએ છીએ. બાઇબલમાંથી એ અવાજ સતત ગુંજે છે. આપણે ઈશ્વરનું જેટલું વધારે સાંભળીએ, જેટલું વધારે માનીએ, એટલી જ આપણી શ્રદ્ધા વધશે. શમૂએલના કિસ્સામાં પણ એવું જ હતું.

ગભરામણ થતી હોવા છતાં, શમૂએલે પૂરી શ્રદ્ધાથી એલીને યહોવાનો ચુકાદો જણાવ્યો

૨૨, ૨૩. (ક) શમૂએલ જે સંદેશો જણાવતા ગભરાતા હતા, એ કઈ રીતે પૂરો થયો? (ખ) શમૂએલની શાખ કઈ રીતે વધતી ગઈ?

૨૨ શમૂએલના જીવનમાં શીલોહની એ રાત યાદગાર હતી; એ પછી યહોવા સાથે તેમનો ખાસ સંબંધ બંધાયો; તે ઈશ્વરના પ્રબોધક અને સંદેશવાહક બન્યા. પહેલા તો, શમૂએલ એલી પાસે યહોવાનો સંદેશો લઈ જતા ગભરાયા; એ છેલ્લો ચુકાદો હતો કે એલીના કુટુંબ વિરુદ્ધ થયેલી ભવિષ્યવાણી જલદી જ પૂરી થવાની છે. પરંતુ, શમૂએલે હિંમતથી એલીને જણાવ્યું અને એલીએ નમ્રતાથી ઈશ્વરનો એ ચુકાદો સ્વીકારી લીધો. થોડા જ સમયમાં, યહોવાએ ભાખેલું બધું જ પૂરું થયું: ઇઝરાયેલીઓ પલિસ્તીઓ સામે લડવા ગયા, હોફની અને ફીનહાસ એક જ દિવસે માર્યા ગયા; યહોવાનો પવિત્ર કોશ દુશ્મનો લઈ ગયા છે, એ સાંભળીને એલી પણ તે જ દિવસે મરણ પામ્યા.—૧ શમૂ. ૩:૧૦-૧૮; ૪:૧-૧૮.

૨૩ જોકે, એક ભરોસાપાત્ર પ્રબોધક તરીકે શમૂએલની શાખ વધતી ગઈ. ‘યહોવા તેમની સાથે હતા,’ એવું જણાવીને અહેવાલ ઉમેરે છે કે યહોવાએ શમૂએલનું એકેય ભવિષ્યવચન નિષ્ફળ જવા દીધું નહિ.—૧ શમૂએલ ૩:૧૯ વાંચો.

“શમૂએલે યહોવાને વિનંતી કરી”

૨૪. સમય જતાં, ઇઝરાયેલીઓએ શું નક્કી કર્યું અને એ કેમ મોટું પાપ હતું?

૨૪ શું ઇઝરાયેલી લોકોએ શમૂએલની વાત માની અને યહોવાને વળગી રહીને તેમનામાં શ્રદ્ધા બતાવી? ના. સમય જતાં, તેઓએ નક્કી કર્યું કે પોતાનો ન્યાય કરવા કોઈ મામૂલી પ્રબોધક નથી જોઈતો. તેઓને તો બીજી પ્રજાઓ જેવા બનવું હતું અને તેઓ પર કોઈ રાજા રાજ કરે, એવું જોઈતું હતું. યહોવાના કહેવાથી શમૂએલે તેઓનું માન્યું. પરંતુ, તેમણે ઇઝરાયેલને જણાવવું પડ્યું કે તેઓનું પાપ કેટલું મોટું હતું. તેઓએ કોઈ મામૂલી ઇન્સાનનો નહિ, પણ યહોવાનો નકાર કર્યો હતો! તેથી, તેમણે લોકોને ગિલગાલ બોલાવ્યા.

શમૂએલે શ્રદ્ધાથી પ્રાર્થના કરી; યહોવાએ ગર્જના અને વરસાદ મોકલીને એનો જવાબ આપ્યો

૨૫, ૨૬. ગિલગાલમાં વૃદ્ધ શમૂએલે લોકોને કઈ રીતે જોવા મદદ કરી કે યહોવા વિરુદ્ધ તેઓએ ઘોર પાપ કર્યું છે?

૨૫ શમૂએલ ગિલગાલમાં ઇઝરાયેલ સાથે વાત કરી રહ્યા છે. ચાલો આપણે એ તંગ વાતાવરણમાં તેઓ સાથે જોડાઈએ. ત્યાં વૃદ્ધ શમૂએલ ઇઝરાયેલને યાદ કરાવે છે કે પોતે વર્ષોથી પૂરી શ્રદ્ધા રાખીને યહોવાને વળગી રહ્યા છે. પછી, આપણે વાંચીએ છીએ કે, “શમૂએલે યહોવાને વિનંતી કરી.” તેમણે યહોવા પાસે ગર્જના અને વરસાદની માંગ કરી.—૧ શમૂ. ૧૨:૧૭, ૧૮.

૨૬ ભરઉનાળામાં ગર્જના અને વરસાદ? એવું તો કદીયે બન્યું ન હતું! જો કોઈએ શંકા કે મજાક-મશ્કરી કરી હોય, તો એ લાંબો સમય ન ચાલી. આકાશમાં એકાએક કાળાં વાદળો ઘેરાવાં લાગ્યાં. ખેતરમાં ઘઉં પવનથી આમતેમ ડોલા ખાવા લાગ્યા. કાન બહેરાં થઈ જાય એટલી જોરશોરથી ગર્જના થવા માંડી. પછી, વરસાદ તૂટી પડ્યો! એનું પરિણામ શું આવ્યું? “સર્વ લોકો યહોવાથી તથા શમૂએલથી બીધા.” છેવટે, તેઓ જોઈ શક્યા કે પોતે કેવું ઘોર પાપ કર્યું હતું!—૧ શમૂ. ૧૨:૧૮, ૧૯.

૨૭. શમૂએલની શ્રદ્ધાને પગલે ચાલનારાઓ વિશે યહોવાને કેવું લાગે છે?

૨૭ લોકોના બંડખોર દિલને શમૂએલે નહિ, પણ તેમના ઈશ્વર યહોવાએ ઢંઢોળ્યું હતું. શમૂએલે નાનપણથી ઘડપણ સુધી પોતાના ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી, જેનો યહોવાએ બદલો આપ્યો. આજ સુધી યહોવા બદલાયા નથી. શમૂએલની શ્રદ્ધાને પગલે ચાલનારાઓને તે આજે પણ પૂરો સાથ આપે છે.

^ ફકરો. 5 નાજીરવ્રત પ્રમાણે નાઝીરીઓને દ્રાક્ષદારૂ પીવાની અને પોતાના વાળ કાપવાની મનાઈ હતી. મોટા ભાગે લોકો અમુક સમય માટે જ આ વ્રત લેતા. પણ અમુક કિસ્સાઓમાં ઈશ્વરભક્તોએ જીવનભર એ વ્રત લીધું હતું, જેમ કે, સામસૂન, શમૂએલ અને યોહાન બાપ્તિસ્મા આપનાર.

^ ફકરો. 9 એ મંદિર લંબચોરસ આકારનું હતું, જે ખરેખર તો લાકડાના માળખા પર બંધાયેલો મોટો મંડપ હતો. જોકે, એ સૌથી ઉત્તમ સાધન-સામગ્રીમાંથી બનેલો હતો. જેમ કે, સીલ માછલીનું ચામડું, સુંદર ગૂંથણકામ થયેલું કપડું અને સોના-ચાંદીથી મઢેલું કીમતી લાકડું. આ મંડપ લંબચોરસ આંગણામાં આવેલો હતો. એની સાથે ધ્યાન ખેંચી લેતી મોટી વેદી પણ હતી, જેના પર અર્પણો ચઢાવવામાં આવતાં. સમય જતાં, મંદિરની આજુબાજુ યાજકો માટે નાની નાની ઓરડીઓ બનાવવામાં આવી હતી. એવું લાગે છે કે શમૂએલ એવી એક ઓરડીમાં સૂઈ જતા.

^ ફકરો. 12 આ અહેવાલ એવા બે દાખલાઓ આપે છે. એક, નિયમશાસ્ત્રમાં ખાસ જણાવાયું હતું કે ચડાવેલા બલિદાનના કયા ભાગો યાજકોને ખાવા માટે આપવા. (પુન. ૧૮:૩) પણ, મંદિરના દુષ્ટ યાજકોની આદત એનાથી કંઈ જુદું જ કરવાની હતી. દેગડામાં માંસ બફાતું હોય ત્યારે, યાજકનો ચાકર આવીને એમાં ત્રિશૂળ ભોંકતો અને જેટલું માંસ બહાર આવતું એ લઈ જતો! બીજું, લોકો વેદી પર આગમાં ચડાવવાંનાં બલિદાનો લાવતાં ત્યારે, દુષ્ટ યાજકોનો ચાકર આવીને અર્પણ ચડાવનાર પર દાદાગીરી કરતો; તે આવીને કાચું માંસ માંગતો, જેની ચરબી હજુ યહોવાને ચડાવવામાં આવી ન હતી.—લેવી. ૩:૩-૫; ૧ શમૂ. ૨:૧૩-૧૭.